Wednesday 24 July 2013

ગુજરાતી ભાષાનાં ગાલિબ મરીઝ સાહેબની પંક્તિ પરથી રચાયેલ આ ગઝલ આ વરસાદી માહોલમાં મારાં તરફથી આપ સૌ માટે :

ખાનગીમાં મન ભલે થોડુંય શરમાયું નહીં,
રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં.

રોજ તારી વાત મારી જાગતી રાતને કરું,
બસ તને એ વિશે કોઈ દિ' કહેવાયું નહીં.

કર્મ સાથે ધર્મ, પાછાં દુન્યવી આ બંધનો,
એક દોરે તો બધું ક્યારેય ગૂંથાયું નહીં.

એ બધું પામી જશે જો મુજ ગઝલ તું વાંચશે,
આંખમાં મારી તને જે હેત વંચાયું નહીં.

કેટલી યાદો મથી છે રોકવાં માટે છતાં,
જિંદગીથી તો કશે થોડુંય રોકાયું નહીં.

-વિરાજ દેસાઈ©
સાહિત્ય સંગમ ખાતે યોજાયેલ તરહી મુશાયરામાં ડો.રઈશ મણિયારની પંક્તિ પર રજૂ કરેલી ગઝલ :

ડાળને ન ઝૂલાવે, તે હવા અધૂરી છે,
જે વ્યથાને અડકે નહિં, તે કલા અધૂરી છે.

તેં ખતમ કરી ત્યાંથી તો હજુ શરૂ થઈ છે,
હું કહું છું, સગપણની આ કથા અધૂરી છે.

તું ભલે ફરજમાં તો કંઇ કસર ન છોડે પણ,
લાગણી વિનાની હો, તો વફા અધૂરી છે.

આંખને ભલે તે ભીની કરી શકે થોડી,
હૈયું ન પલાળે જો, તો વ્યથા અધૂરી છે.

પાંખને પસારીને કેમ તું સતત ઊડે?
બાથમાં ગગન ભરવાની રઝા અધૂરી છે?

-વિરાજ ઓ. દેસાઈ©